માતા- પિતાએ અનંતની વાટ પકડી: દાહોદમાં 10 બાળકોએ કોરોનામાં માતા – પિતાની છત્રછાયા ગુમાવી
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- માસિક રૂ. 4000ની સહાય માટે જિલ્લા બાળસુરક્ષા એકમ જાતે કઢાવે છે દસ્તાવેજો
- ધાણીખૂંટમાં 3 બાળકોના માતા- પિતાએ અનંતની વાટ પકડી
દાહોદ જિલ્લામાં 10 દંપતિ કોરોનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યુ છે. આ દંપતિના બાળકો હવે દાદા-દાદી અથવા કાકા-કાકીના સહારે છે. જેમાં ધાણીખુંટ ગામમાં તો ત્રણ બાળકોના માથેથી માતાપિતાની છત્રછાયા એક સાથે છીનવાઇ ગઇ હતી. કોરોનાકાળની આવી અનેક કરુણાંતિકામાં રાહતની વાત તો એ છે કે રાજ્ય સરકાર તેમને આર્થિક મદદ કરશે.ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ ગામમાં રહેતા 32 વર્ષના વિજયભાઇ મકવાણા અને 30 વર્ષના આશાબેન મકવાણા અર્થોપાર્જન કરવા અમદાવાદ નજીક બાકરોલમાં કડિયા કામ કરતા હતા.
કાળમુખા કોરોનાની બીજી લહેર શાંત થવામાં હતી, એ દરમિયાન આ દંપતિને કડિયા કામ મળતા તેઓ તેમના ત્રણ પુત્રો પૈકી અજિતને સાથે લઇ અમદાવાદ ગયા. બાકીના બે પુત્રો 11 વર્ષના અમિત અને આઠ વર્ષના રોમિતને પોતાના ઘરે દાદા પાસે મૂકીને ગયા હતાં. ગત તારીખ 7 જુને અચાનક તાવ અને શ્વાશ લેવામાં તકલીફ થતાં વિજયભાઇ અને આશાબેનને વતનમાં લવાયા હતાં. પરિવારજનો અને ગામના અન્ય લોકોએ તેમને પ્રથમ સુખસર, પછી ઝાલોદ અને બાદમાં ઝાયડ્સ ખાતે લઇ આવ્યા પણ બચાવી શકાયા નહી. 2009માં લગ્નના તાંતણે બંધાનારા આ યુગલે સાથે અનંતની વાટ પકડી.
અમિત, રોમિત અને અજિત સાવ નિરાધાર થઇ ગયા. ત્રણે બાળકો તેમના દાદા ખેમાભાઇ અને દાદી સુમિત્રાબેન સાથે રહે છે. અમિતને સ્થિતિનો ખ્યાલ છે પણ રોમિત અને અજિતને દુનિયાદારીનો સ્પર્શ જ થયો નથી. આવી જ બાબતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાકાળમાં માતાપિતા બન્ને ગુમાવનારા બાળકોને માસિક રૂ. 4000ની સહાય કરવાનો ઉદ્દાતભાવ દર્શાવ્યો છે. દાહોદ જિલ્લામાં આવા દસ કિસ્સા ધ્યાને આવ્યા છે.જિલ્લા બાળ સુરક્ષા એકમમાં લીગલ પ્રોબેશન ઓફિસર અબ્દુલ વસીમ કુરેશી, સામાજિક કાર્યકર નારસિંગ બરજોડ અને નેહા મિનામા, ક્ષેત્રીય કાર્યકર પ્રતાપ કટારા સમય જોયા વિના આવા બાળકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદ અપાવવા માટે મહેનત કરી રહ્યા છે.આ માટે જરૂરી માર્ગદર્શન સમાજ સુરક્ષા અધિકારી આર. પી.ખાંટા આપી રહ્યા છે.
દાહોદમાં કેટલાંક બાળકો પાસે પૂરતા દસ્તાવેજો નથી
બાળ કલ્યાણ સમિતિએ આ દસેય બાળકોના વાલીઓને માન્યતા આપી દીધી છે. વાલીપણાના નિર્ણય ખૂબ જ ઝડપથી લેવામાં આવ્યા છે. દાહોદમાં કેટલાક બાળકો પાસે પૂરતા દસ્તાવેજો નથી. એટલે અમે જાતે એ દસ્તાવેજો કઢાવીએ છીએ. મૃત્યુના પ્રમાણપત્રો ઝડપથી નીકળી જાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. એટલે અમે જાતે જ મૃત્યુના પ્રમાણપત્રો કઢાવી લઇએ છીએ. અમારી ટીમ દસ્તાવેજો પહોંચતા કરે છે. બાળક દીઠ રૂ. ચાર હજારની સહાય મળશે.>શાંતિલાલભાઇ તાવિયાડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,દાહોદ
57 બાળક એવા કે જેમણે માતા/પિતા ગુમાવ્યા
દાહોદ જિલ્લામાં કોરોનામાં માતા-પિતા બંને ગુમાનવરા બાળકોની સંખ્યા 10 સામે આવી છે. જ્યારે 18 વર્ષથી નીચેના હોય તેવા 57 બાળકો એવા પણ મળ્યા છે જેમણે માતા કે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ બાળકો માટેની સહાયનો મામલે સરકારમાં વિચારાધિન હોવાનું જાણવા મળ્યું છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed