પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ: દાહોદમાં અંજુમન હોસ્પિટલની ‌બહારના 16 વૃક્ષો કાપી દેવાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ ખાતે વૃક્ષછેદનની પ્રવૃત્તિ અંતર્ગત વધુ 16 વૃક્ષોનો સંહાર કરવામાં આવતાં પ્રકૃતિપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. - Divya Bhaskar

દાહોદ ખાતે વૃક્ષછેદનની પ્રવૃત્તિ અંતર્ગત વધુ 16 વૃક્ષોનો સંહાર કરવામાં આવતાં પ્રકૃતિપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.

  • ઓક્સિજનના સ્રોતને જ નામશેષ કરતી હોસ્પિટલ
  • લીલાંછમ વૃક્ષોને આડેધડ કાપતાં ચર્ચાનો વિષય

દાહોદમાં વૃક્ષછેદનની પ્રક્રિયા મોટા પ્રમાણમાં વકરી છે ત્યારે ધી અંજુમને હૈદરી એન્ડ ચેરીટેબલ ડિસ્પેન્સરી તરીકે જાણીતી હોસ્પિટલની બહાર આવેલા 16 વૃક્ષોને રવિવારે નિર્દયતાથી કાપી દેવામાં આવ્યા છે. દાહોદના ટાવર રોડ વિસ્તારમાં આવેલ અને લાંબા સમયથી વહીવટનો વિવાદ ધરાવતી હાલ બંધ પડેલ અંજુમન હોસ્પિટલની બહાર તા.11 જુલાઈ, રવિવારના રોજ આસોપાલવ, બટકલીમડો અને સીમળાના 16 જેટલા વૃક્ષોને સાગમટે કાપી દેવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

વૃક્ષછેદનની પ્રક્રિયા દરમિયાન જાગૃત નગરજનોએ વૃક્ષછેદન કરનારાઓને આ બાબતે પૂછતાં તેઓએ વન વિભાગનો પરવાનગી પત્ર દર્શાવી કહ્યું હતું કે હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા વૃક્ષ કાપવા માટેની મંજૂરી મેળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓક્સિજનના સ્ત્રોત સમા વૃક્ષોને નામશેષ કરતી આ હોસ્પિટલના આગેવાનોએ કલેક્ટર પાસે બે મહિના અગાઉ જ કોરોનાની મહામારીમાં ઓક્સિજન વિના અનેક લોકો ટળવળતાં હતા ત્યારે આ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ શરૂ કરવા મંજૂરી માગી હતી. જોકે, વિવિધ પ્રશ્નોને કારણે મંજૂરી અપાઇ ન હતી. તો હવે ક્ષુલ્લક કારણો આગળ કરી વનવિભાગની મંજૂરી લાવી છાંયા સાથે તાજો ઓક્સિજન આપતા લીલાંછમ વૃક્ષોને આડેધડ કાપી વનશ્રીનું નિકંદન કાઢતા ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: