કોરોનાએ ચિંતા વધારી: દાહોદ જિલ્લામાં બે માસ બાદ કોરોનાના 10 કેસ નોંધાયા, સંક્રમણ વધતા તંત્ર હરકતમાં
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- બે મહિના સુધી કોરોનાના કેસ વધવાનો તજજ્ઞોનો મત ફરી રવિવારની રજા આવશે અને હોળી બેરંગ થવાની દહેશત
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ફરીથી વધી રહ્યો છે. કારણ કે ચુંટણી પછી કોરોના વધવાની દહેશત તંત્રને હતી. અને તેનો સ્વીકાર પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં સોમવારે 10 કેસ નોંધાતા આશરે બે માસ પછી બે આંકડામાં કેસ નોંધાયા છે. જેમાં જનતાએ જનપ્રતિનિધિઓની સાથે કોરોનાને પણ ફરીથી ચુંટી કાઢ્યો હોય તેમ લાગી રહ્યુ છે. હવે આ આંકડો ક્યાં જઇને આટકશે તે હાલ કહેવું અશક્ય છે.
બે માસ પછી બે આંકડામાં 10 જેટલા દર્દીના પોઝીટીવ રિપોર્ટ આવ્યા
દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 2886 કોરોનાના કેસ નોંધાઇ ચુક્યા છે. તેમાંથી 2740 સ્વસ્થ થયા છે. પરંતુ કોરોના તેમજ કોરોના સહિતની બીમારીઓથી 100 દર્દીઓના મૃત્યુ પણ નીપજ્યા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 46 જેટલી છે. ત્યારે જે ધારણા હતી તે પ્રમાણે ચુંટણી પછી કોરોનાના દર્દી સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે. તે પ્રમાણે દાહોદ જિલ્લામાં પણ કોરોના ફરીથી ફેલાઇ રહ્યો છે. કારણ કે સોમવાર તારીખ 15 માર્ચના રોજ આશરે બે માસ પછી બે આંકડામાં 10 જેટલા દર્દીના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. આ પહેલાં કોરોના આંક રોજે રોજ શૂન્ય થી 6 સુધીમાં સમેટાઇ જતો હતો.
દાહોદ શહેર, દેવગઢ બારીયા તેમજ સીંગવડ તાલુકાને હાલમાં સંવેદનશીલ જાહેર કર્યા
તજજ્ઞોના કહેવા પ્રમાણે જ્યારે જ્યારે કોરોનાનું પિક અર્થાત તેનો ચેપ ઝડપથી ફેલાય છે. ત્યારે તેની અસર ઓછામાં ઓછા બે માસ સુધી રહે છે. તેને કારણે આ સમય દરમિયાન કોરોના આંક વધતો જ રહે છે. તેને નિયંત્રણમાં રાખવા ઘણાં બધા નિયંત્રણો લાદવા પડે છે. તેમજ પ્રજાએ પણ સજાગ રહેવુ પડે છે. ત્યારે હવે ફરીથી માસ્ક અને સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સીગ રાખવાની સુફિયાણી સલાહ આપતા નેતાઓના પોસ્ટર્સ, બેનર્સ અને જાહેરાતો જોવા મળશે તે નિશ્ચિત છે. દાહોદ જિલ્લામાં દાહોદ શહેર, દેવગઢ બારીયા તેમજ સીંગવડ તાલુકાને હાલમાં સંવેદનશીલ જાહેર કરી તેમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કરાવવાની સુચના કલેક્ટર કક્ષાએથી આપવામાં આવી છે. તેવા સમયે 15 માર્ચે દાહોદ શહેર અને ફતેપુરા તાલુકામાં 1-1, ઝાલોદ અને સંજેલી ગ્રામ્યમાં 2-2 અને લીમખેડા તાલુકામાં 4 કેસ પોઝીટીવ આવ્યા છે. આમ જે સંવેદનશીલ વિસ્તારો શોધી કઢાયા છે તેના સિવાયના વિસ્તારોમાં પણ કેસ નોંધાઇ રહ્યા છે. જે ચિંતાજનક બાબત છે.
કોરોનાના તમામ નિયંત્રણો હટી ગયા બાદ પણ રવિવારે ફરજીયાત બંધ રાખવામાં આવતું હતુ
દાહોદ જિલ્લામાં જે તે સમયે કોરોનાના તમામ નિયંત્રણો હટી ગયા બાદ પણ રવિવારે ફરજીયાત બંધ રાખવામાં આવતું હતુ. જેમ કેટલાક રાજ્યોમાં વિક એન્ડ લોકડાઉન છે તે પ્રમાણે જિલ્લામાં રજા રાખવામાં આવતી હતી. પરંતુ મતદાનની મજબૂરી હોવાથી તમામ મર્યાદાઓ દુર કરી દેવામાં આવી હતી. ત્યારે ફરીથી હવે રવિવારની ફરજીયાત રજા આવશે તેમ લાગી રહ્યુ છે. તેવી જ રીતે 2020માં કોરોનાએ હોળીની ઉજવણી જ કરવા દીધી હતી. તે આ વખતે એટલી છુટથી નહી કરવા મળે તેમ લાગી રહ્યુ છે. કારણ કે કોરોના હોળીને બેરંગ બનાવશે અને હવે ચુંટણી પૂર્ણ થઇ ગઇ હોવાથી સાફાધારીઓ પ્રજાને કાયદાની પાઘડી પહેરાવે તો નવાઇ પામવા જેવું નહી હોય. કોરોનાના કેસ વધતાં હવે કોવિડ હોસ્પીટલમાં પણ વ્યવસ્થાનું નિરીક્ષણ શરુ થઇ ચુક્યુ છે. બીજી તરફ સરકારી પોલીટેકનીક હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર શરુ પણ કરી દેવાયુ છે. જેથી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્વસ્થ દર્દીઓને દેખરેખ માટે ખસેડી શકાય અને હોસ્પિટલમાં બીજા દર્દીઓ માટે જગ્યા કરી શકાય છે. જેમાં પ્રથમ દિવસે જ સાંજ સુધીમાં 7 દર્દીઓને ઝાયડસ કોવિડ હોસ્પિટલમાંથી કોવિડ કેર સેન્ટરમાં લાવી દેવાયા છે.
Related News
ક્રાઇમ: અપહરણ કરી સગીરા પર બે યુવકોનું દુષ્કર્મ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
સ્થિતિ ચિંતાજનક: ઝાલોદ ગ્રામ્યના 37 સહિત જિ.માં અધધ… 74 સંક્રમિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed