દાહોદમાં વીજ તંત્ર દ્વારા 60થી વધુ વૃક્ષોનો ખુરદો બોલાવાયો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ પરિસરમાં 5000થી વધુ વૃક્ષોનો સુપેરે ઉછેર કરી પરિસરને નંદનવન બનાવાયું છે

દાહોદ વિદ્યુત બોર્ડની કચેરી દ્વારા દાહોદ ખાતે દિવ્યાંગ બાળકો કાજે ચાલતી સક્રિય સંસ્થા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પરિસરની અંદરના ભાગે ઉછરેલા આશરે 60 થી વધુ વૃક્ષોને આડેધડ રીતે કાપી વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર પાંચ દિવસ અગાઉ અચાનક જ દાહોદ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સંસ્થાને જાણ કર્યા વિના કેમ્પસમાં આવી ટ્રીમીંગના નામે ફક્ત નાનકડી કાપકૂપ કરવા બદલે સંસ્થાની હદમાં રહેલા 60 થી વધુ વૃક્ષોનો આડેધડ રીતે સંહાર કર્યો હતો. સંસ્થાની બોર્ડર ઉપરથી પસાર થતી વિધુત લાઈન, વૃક્ષોથી દૂર જ છે ત્યારે આ રીતે સરકારી તંત્ર દ્વારા જ ખોટી રીતે આડેધડ વૃક્ષછેદન કરાતાં અગાઉની માફક ફરી એકવાર દાહોદ શહેરને સુંદર પર્યાવરણ પૂરું પાડવા પ્રયાસરત લોકોમાં ઘોર નિરાશા ઉભી થવા પામી છે.

જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહજી ભાભોર દ્વારા આ સંસ્થાની વખતોવખત મુલાકાત દરમ્યાન સંસ્થાની વૃક્ષારોપણની પ્રવૃત્તિને બિરદાવાઈ છે. અને સંસ્થા દ્વારા જણાવાયા અનુસાર વિદ્યુત લાઇનને અવરોધરૂપ હોય તેવી ડાળી દર વર્ષે ઉતારી લેવામાં આવે છે. તેમ છતાં બિનજરૂરી રીતે વૃક્ષો કાપી દેવાતા નગરના પ્રકૃતિપ્રેમીઓમાં અવારનવાર આ રીતે ખોટી રીતે હરિયાળીનો નાશ કરતા વીજતંત્ર માટે ફિટકારની લાગણી વહી રહી છે. થોડા સમય અગાઉ જ સંસ્થાના વડા યુસુફીભાઈ કાપડિયાએ વીજતંત્રને લેખિત અરજી આપીને સંસ્થાના કેમ્પસમાંથી જે વીજ લાઈન પસાર થાય છે તે દિવ્યાંગ બાળકોને નડતરરૂપ હોઈ હટાવી લેવા પત્ર પણ પાઠવેલ છે. તો વીજ તંત્ર દ્વારા સંસ્થા પાસેથી પોતે જ નાંખેલી વીજલાઇન હટાવવાનો તોતિંગ ચાર્જ ભરવા જણાવતા વાદવિવાદ પણ થયો હતો.

ઉલ્લેખનીય છે કે દાહોદ શહેર જ્યારે સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે તેની સાથે દિવ્યાંગ બાળકોને સ્વચ્છ વાતાવરણ સાંપડે તેવા શુભાશયથી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દ્વારા પોતાના કેમ્પસમાં અંદાજિત 5000 જેટલા વૃક્ષો રોપીને યોગ્ય માવજત કરી ઉછેર કરવામાં આવ્યો છે.

વીજ કર્મીઓએ કોઈ પરવાનગી વિના આવીને વૃક્ષછેદન કર્યું છે
તાજેતરમાં સાંસદે પોતાનો જન્મદિવસ આ સંસ્થામાં જ ઉજવ્યો હતો અને જન્મદિનની સ્મૃતિમાં વૃક્ષારોપણ પણ કરેલું. અત્યાર સુધીમાં અમે અત્રે આશરે 5000 થી વધુ વૃક્ષો ઉછેરીને સંસ્થાને સાચા અર્થમાં નંદનવન બનાવી છે ત્યારે આ રીતે વીજકર્મીઓએ કોઈ પરવાનગી કે સૂચન વિના જ સીધા સંસ્થાની અંદર આવીને આડેધડ રીતે 60 થી વધુ વૃક્ષો ટ્રીમીંગના ઓઠા હેઠળ સંહાર કરી દીધો છે જે દુઃખદ છે. – વી.એમ.પરમાર, ટ્રસ્ટી, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ






Related News

Comments are Closed

%d bloggers like this: